વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી માટે ભાવનગર જિલ્લામાં ભારે ઉત્સાહ નાયબ વન સંરક્ષકશ્રી દ્વારા સંયોજકો અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઇ ભાવનગર જિલ્લામાં ‘વિશ્વ સિંહ દિવસ’ ઉજવણી માટે શાળાઓ, સંસ્થાઓ અને વન વિભાગ દ્વારા ભારે ઉત્સાહ જોવાં મળી રહ્યો છે.
સમગ્ર વિશ્વમાં ૧૦ ઑગષ્ટના રોજ ‘વિશ્વ સિંહ દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે.જે સાથે ગુજરાતમાં સાસણ ગીર અંતર્ગત આ દિવસે વિક્રમ સર્જક એવાં વિવિધ આયોજનો હાથ ધરવામાં આવ્યાં છે. સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ સાથે ભાવનગર જિલ્લામાં શાળાઓ અને સંસ્થાઓના સંકલનથી આ અંગેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ભાવનગરમાં નાયબ વન સંરક્ષકશ્રીની કચેરી ખાતે સંયોજકો અને કાર્યકર્તાઓની એક બેઠક મળી હતી. જેમાં રાજ્ય સરકારના વન વિભાગ સાથે શિક્ષણ વિભાગની મુખ્ય ભૂમિકા અને સ્વૈચ્છિક સંસ્થાઓના સંકલન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ‘વિશ્વ સિંહ દિવસ’ ની ઉજવણી અંગે વન વિભાગની માર્ગદર્શિકા અંગે નાયબ વન સંરક્ષકશ્રી સાદીક મૂજાવર સાથે કચેરીના અધિકારીશ્રી દિવ્યરાજસિંહ સરવૈયા અને કર્મચારીઓએ સંકલન હાથ ધર્યું છે. આ ઉજવણી સાથે જોડાયેલાં સંયોજક કાર્યકર્તાઓ સર્વશ્રી હર્ષદ રાવલિયા તથા શ્રી મૂકેશ પંડિતે વન વિભાગ, સાસણ દ્વારા મોકલેલ સામગ્રી તમામ શાળાઓ સુધી શિક્ષણ વિભાગના સહકારથી પહોંચી ગયાની વાત કરી. હતી. આ સાથે ભાવનગર શહેરના અને જિલ્લાના આયોજનો વિશે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં શ્રી પ્રવીણ સરવૈયા, શ્રી રઘુભાઈ બલિયા વગેરે દ્વારા આ વિક્રમ સર્જક ઉજવણી સંદર્ભે મંતવ્યો વ્યક્ત કર્યા હતા અને આગામી ઉજવણીમાં પણ સક્રિય રીતે કામગીરી બજાવવામાં આવશે તે અંગેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.