વિક્રમ સંવત 2079, ફાગણ સુદ પાંચમ ને શુક્રવાર.
→ આંતરરાષ્ટ્રીય સમાચાર
રશિયા-યૂક્રેન યુદ્ધને હવે એક વર્ષ થઈ ગયું છે. આ યુદ્ધ નજીકના ભવિષ્યમાં સમાપ્ત થાય તેમ લાગતું નથી. દરમિયાન, યુએનજીએમાં ગુરુવારે યૂક્રેન સંબંધિત ઠરાવ પર ભારત ગેરહાજર રહ્યું હતું, યુએન જનરલ એસેમ્બલીમાં લાવવામાં આવેલા ઠરાવમાં યૂક્રેનમાં “વ્યાપક, ન્યાયી અને કાયમી શાંતિ” સુધી પહોંચવાની જરૂરિયાત વિશે વાત કરવામાં આવી હતી.
ભારત તરફથી પૂછવામાં આવ્યું કે શું રશિયા-યૂક્રેન સંઘર્ષના એક વર્ષ પછી પણ વિશ્વને ‘સંભવિત ઉકેલ’ મળ્યો છે? જે મોસ્કો અને કિવ બંનેને સ્વીકાર્ય હોય. 193-સભ્ય યુએનજીએમાં ઠરાવ પર મતદાન કરવાથી દૂર રહેલા 32 દેશોમાં એક ભારત હતું. આ પ્રસ્તાવ યૂક્રેન અને તેના સમર્થકો દ્વારા લાવવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવના પક્ષમાં 141 દેશો હતા જ્યારે 7 તેની વિરુદ્ધમાં રહ્યા હતા.
પ્રસ્તાવને અપનાવવામાં આવ્યા પછી મતની સમજૂતી આપતા, યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે જણાવ્યું હતું કે ‘તે જરૂરી છે કે આપણે આપણી જાતને કેટલાક સંબંધિત પ્રશ્નો પૂછીએ. શું આપણે એવા ઉકેલની નજીક છીએ જે બંને પક્ષોને સ્વીકાર્ય હોય? શું કોઈપણ પ્રક્રિયા કે જેમાં બંને પક્ષો સામેલ ન હોય તે ક્યારેય વિશ્વસનીય અને અર્થપૂર્ણ ઉકેલ તરફ દોરી શકે છે?’
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત યૂક્રેનની સ્થિતિ અંગે ચિંતિત છે. અમે યૂક્રેનમાં વ્યાપક, ન્યાયી અને સ્થાયી શાંતિને પ્રોત્સાહન આપવાના મહાસચિવના પ્રયાસોને સમર્થનની નોંધ લઈએ છીએ, જ્યારે શાંતિ હાંસલ કરવાના રાજદ્વારી પ્રયાસો માટે સભ્ય દેશો દ્વારા વધેલા સમર્થન પર ભાર મૂક્યો છે. જો કે, ગ્રાઉન્ડ રિપોર્ટ્સ એક જટિલ દૃશ્ય દર્શાવે છે, જેમાં સંઘર્ષ બહુવિધ મોરચે તીવ્ર બનતો જોવા મળે છે.
આ દરમિયાન ભારતના રૂચિરા કંબોજે જણાવ્યું હતું કે રશિયા-યૂક્રેન યુદ્ધને કારણે અસંખ્ય લોકોએ જીવ ગુમાવ્યા છે, લાખો લોકો બેઘર બન્યા છે અને પડોશી દેશોમાં આશ્રય લેવાની ફરજ પડી છે. તેમણે કહ્યું કે નાગરિકો અને નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાના અહેવાલો પણ ખૂબ જ ચિંતાજનક છે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે ભારત બહુપક્ષીયતા માટે પ્રતિબદ્ધ છે અને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના સિદ્ધાંતોનું સમર્થન કરે છે.